ઉત્તમ જીવન

શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને યુદ્ધ કરવા પાનો ચડાવવા માટે જ કેવળ ગીતા ઉપદેશ આપેલો નથી. યુદ્ધના તેઓ હિમાયતી ન હતા. ઊલટું યુદ્ધ અટકાવવા માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરવા જોઈએ એમ તેઓ માનતા હતા. એટલે તો પોતે રાજાઓ કરતાં પણ શ્રેષ્ઠ હોવા છતાં શાંતિદૂત તરીકે કૌરવોને સમજાવવા હસ્તિનાપુર ગયા હતા. મૂઢ દુર્યોધન સમજ્યો નહીં એટલે જ મહાભારત યુદ્ધ અનિવાર્ય બની ગયું.

ઉત્તમ જીવન અંગેની બહુ રસપ્રદ અને મહત્વની ચર્ચા ગીતાજીમાં થયેલી છે. એ તો ગીતાજી વાંચીએ તો જ સમજાય. એટલે જ જેમણે ગીતાજીનો અભ્યાસ કરેલો છે તેવા વિદ્વાનો આ ગ્રંથને વિશ્વગ્રંથ ગણે છે. ‘શ્રદ્ધા ત્રય વિભાગ યોગ’ નામના ૧૭મા અધ્યાયમાં શ્લોક નં.૩,૪,૮,૧૧,૧૪થી ૧૯ એ બધા જ બહુ ઉત્તમ શ્લોક છે અને જીવન ઘડતર માટે ખાસ વાંચવા જેવા છે.

શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે બધા મનુષ્યોની શ્રદ્ધા તેમના અંતઃકરણની શુદ્ધિ અનુસાર હોય છે. જેવી જેની શ્રદ્ધા, તેવો તે થાય છે. સાત્વિક શ્રદ્ધાવાળા પુરુષો દેવોને ભજે છે, રાજસી શ્રદ્ધાવાળા યક્ષ અને રાક્ષસોને ભજે છે અને તામસી શ્રદ્ધાવાળા ભૂત, પ્રેત વગેરેને ભજે છે.

આહાર પણ સૌને પોતપોતાની પ્રકૃતિ અનુસાર પ્રિય હોય છે. આયુષ્ય, સાત્વિકતા, બળ, આરોગ્ય, સુખ અને રુચિ વધારનારા, રસયુક્ત, પૌષ્ટિક તથા મનને ગમે તેવા આહાર સાત્વિક લોકોને પ્રિય હોય છે. કડવા, ખાટા, ખારા, ખૂબ ગરમ, તીખા તમતમતા, સૂકા અને દાહ કરનારા આહારો રાજસ મનુષ્યોને પ્રિય હોય છે. કેટલીય વાર સુધી પડી રહેલું, ઊતરી ગયેલું, દુર્ગંધયુક્ત, વાસી, ઉચ્છિષ્ટ અને અપવિત્ર ભોજન તામસ લોકોને પ્રિય હોય છે.

ફળની આકાંક્ષા વગરના મનુષ્યો, કર્તવ્ય સમજીને વિધિપૂર્વક જે યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ છે. ફળની આકાંક્ષા રાખીને તેમ જ દંભથી જે યજ્ઞ કરે છે તે રાજસ યજ્ઞ છે. શાસ્ત્રવિધિ રહિત, અન્નદાન રહિત, મંત્ર રહિત, દક્ષિણા રહિત અને શ્રદ્ધા રહિત જે યજ્ઞ કરવામાં આવે છે તે તામસ યજ્ઞ છે.

દેવતા, બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસા આ શારીરિક તપ કહેવાય છે. કોઈને ઉદ્વેગ ન કરનારી, સત્ય, પ્રિય અને હિત કરનારી વાણી બોલવી તથા સદગ્રંથોનું પઠન કરવું તે વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, મૌન, આત્મસંયમ અને ભાવનાશુદ્ધિ મનનું તપ કહેવાય છે. આ પ્રકારનું તપ જ્યારે પરમ શ્રદ્ધાથી, ફળની આકાંક્ષા વગર કરવામાં આવે છે ત્યારે સાત્વિક તપ કહેવાય છે. કોઈનાં સત્કાર, ખુશામત અથવા પૂજા માટે જે તપ થાય છે તે ક્ષણિક અને અનિશ્ચિત ફળ આપનાર રાજસ તપ કહેવાય છે. જે મૂઢતાપૂર્વક હઠથી, મન, વાણી અને શરીરને પીડીને બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી તપ કરાય છે તેને તામસ તપ કહેવાય છે.

ઉપરની તમામ વાતો બહુ સરળ છે તેમ છતાં કાંઈ ન સમજાય તો તેની માથાકૂટ કરવાને બદલે જેટલું સમજાય તેટલું આચરણ કરીએ તો પણ જીવન ધન્ય બની જાય. જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપરની તમામ વાતો કેટલી અગત્યની છે તે સમજાવવાની જરૂર નથી. વળી એ ખુદ પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાને કહેલી છે એટલે તેનું મહત્વ ખૂબ વધી જાય છે. આપણા ચીલાચાલુ જીવનથી આપણને સંતોષ છે કે આપણે આપણું જીવન સુધારવા માગીએ છીએ એટલું જ વિચારવાનું રહે છે. જો સુધારવા માગતા હોઈએ તો ગીતાજીના શ્લોકો ગોખવાને બદલે પરમાત્માએ કહેલી વાતોને જીવનમાં ઉતારીએ.

પૈસાથી ઘણું બધું ખરીદી શકાય છે, પણ ઉત્તમ સંસ્કાર બજારમાં વેચાતા નથી. એને માટે માર્ગદર્શન આપતાં પુસ્તકો વેચાતાં મળે, પરંતુ સંસ્કાર ન મળે. આપણા જન્મ પછી તો ઠીક, પણ જન્મ પહેલાં પણ ઉત્તમ સંસ્કાર મા આપી શકે. ભક્ત પ્રહલાદનાં મા ગર્ભવતી હતાં ત્યારે સંજોગવશાત્ તેમને દેવર્ષિ નારદજીના આશ્રમમાં રહેવાનું થયું. આશ્રમના પવિત્ર અને ભક્તિમય વાતાવરણની અદભુત અસરથી અસુરકુળમાં જન્મવા છતાં પ્રહલાદજી પરમાત્માના પરમ ભક્ત બન્યા.

શ્રીકૃષ્ણ ભગવાનનાં બહેન સુભદ્રાને ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ વેદના થતી હતી. તેમનું મન બીજે વાળવા શ્રીકૃષ્ણ ભગવાને યુદ્ધ દરમિયાન ચક્રવ્યૂહ તોડવાની અટપટી વાતો કહેવાનું શરૂ કર્યું. સુભદ્રાને નીંદર આવી જતાં ચક્રવ્યૂહની વાત અધૂરી રહી. ગર્ભાવસ્થામાં સાંભળેલી વાતને કારણે અભિમન્યુએ મહાભારતના યુદ્ધ દરમિયાન ચક્રવ્યૂહ તોડવા કોશિશ કરી, પણ અધૂરા જ્ઞાનને કારણે સફળતા ન મળતાં તેનું મૃત્યુ થયું. આ તો પુરાણોની વાત થઈ, પણ કહેવાય છે કે માતા જીજાબાઈ ગર્ભાવસ્થા દરમિયાન રામાયણ, ભાગવત વગેરે ગ્રંથોનું વાંચન કરતાં તેથી ધર્મનું રક્ષણ કરવાની તીવ્ર ઇચ્છાશક્તિ છત્રપતિ શિવાજીમાં જન્મ પહેલાં જ જાગૃત થઈ ગઈ હતી.
‘‘પેટમાં પોઢીને સાંભળેલી બાળે, રામ, લક્ષ્મણની વાત,
માતાજીને મુખ જે દીથી, ઊડી એની ઊંઘ તે દીથી.’’

જેનાં વાણી, વર્તનની આટલી બધી અસર જન્મ પહેલાં થતી હોય એ માતાએ પોતાના બાળકને સુસંસ્કારી બનાવવા કેટલી બધી કાળજી લેવી જોઈએ ! આવી જ જવાબદારી પિતા અને શિક્ષકોની છે. બાળપણમાં મળેલાં સંસ્કારો અને વાતાવરણ બાળકને ઘડે છે. જે ઘરમાં ગાળાગાળી કે મારકૂટ થતી હોય, માબાપ, બાળકો પ્રત્યે બેપરવા હોય, શાળાના શિક્ષકોને ટ્યુશન સિવાય ભણાવવામાં રસ ન હોય એ તમામ નાની નાની વાતો બાળકોનાં ભાવિ જીવન પર અસર કરે છે.

આઝાદી પહેલાં મોજશોખનાં સાધનો ઓછાં હતાં. શિક્ષકો કર્તવ્યનિષ્ઠ અને સંતોષી હતા. લોકોમાં દેશદાઝ હતી, પણ આજે આઝાદી પછી મોજશોખનાં સાધન વધ્યાં, ધન પાછળની આંધળી દોટને કારણે શિક્ષણનું સ્તર નીચે ગયું. શિક્ષકો પરીક્ષામાં ચોરી કરવામાં મદદ કરે, પૈસા ખર્ચીને કે લાગવગના જોરે પેપરમાં માર્ક મુકાવી શકાય, ડોનેશન આપી શકે તેને એડમિશન મળી શકે એવી પ્રથા શરૂ થઈ. હોશિયાર વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહે અને ધનવાનને તક મળે એને ન્યાય કહેવાય ? આપણે સૌએ સંસ્કારને બદલે ધનને જ મહત્વ આપ્યું છે તેનું આ પરિણામ છે. આ બધાં દૂષણો માટે આપણે જ જવાબદાર છીએ. બીજા કોઈને દોષ દેવાની જરૂર નથી.

શ્રીકૃષ્ણ ભગવાને કહેલી જીવનને ઉત્તમ બનાવવાની રીત જો માતાપિતા અને શિક્ષકો, શુભનિષ્ઠાથી અમલમાં મૂકે તો બાળકોને સુસંસ્કારી બનાવી શકાય. સમાજનો સડો સાફ કરવા માટે એ બહુ જરૂરી છે. વળી એમાં કાંઈ ખર્ચ થતો નથી. કોઈને દુઃખ થાય તેવું ન બોલવું, કોઈનું અપમાન થાય તેવી મજાકમશ્કરી ન કરવી. સદાય હસતાં રહેવું, મુશ્કેલીમાં પણ હિંમત ન હારવી. નાની નાની બાબતમાં પણ બીજાને ઉપયોગી થવાની કોશિશ કરવી. બીજાને તકલીફ થાય તેવું કાંઈ ન કરવું. આપણે આટલું પણ ન કરી શકીએ ? જીવનમાં સતત કાંટા વાગ્યા કરે છે તેવી ફરિયાદ કરવાને બદલે ખુદ પરમાત્માએ બતાવેલી ફૂલની કેડી પર ચાલીએ તો જીવન ફૂલોની સુવાસથી મહેકતું થઈ જાય.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors