મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ સારાંશ-દુઃખદ પ્રસંગો

દુઃખદ પ્રસંગો

મારી ગણતરી બરાબર નહોતી એમ હું પાછળથી જોઇ શકયો. સુધારો કરવા સારુ પણ માણસે ઊંડા પાણીમાં ઊતરવું નહીં જોઇએ. જેને સુધારવા છે તેની સાથે મિત્રતા હોય નહીં. મિત્રતામાં અદ્વૈતભાવના હોય. એવી મિત્રતામાં સુધારાને અવકાશ બહુ ઓછો હોય છે. મારો અભિપ્રાય એવો છે મે અંગત મિત્રતા અનિષ્‍ટ છે, કેમ કે મનુષ્‍ય દોષને ઝટ ગ્રહણ કરે છે. ગુણ ગ્રહણ કરવાને સારુ પ્રયાસની આવશ્‍યકતા છે. જેને આત્‍માની, ઇશ્ર્વરની મિત્રતા જોઇએ છે તેણે એકાકી રહેવું ઘટે છે, અથવા આખા જગતની સાથે મૈત્રી કરવી ઘટે છે. ઉપરના વિચાર યોગ્‍ય હોય કે અયોગ્‍ય, મારો અંગત મિત્રતા કેળવવાનો પ્રસંગ નિષ્‍ફળ નીવડયો.
જયારે આ મિત્રના પ્રસંગમાં હું આવ્‍યો ત્‍યારે રાજકોટમાં ‘સુધારાપંથ’ પ્રવર્તતો હતો. ઘણા હિંદુ શિક્ષકો છૂપી રીતે માંસાહાર ને મદ્યપાન કરતા હતા એવા ખબર આ મિત્ર તરફથી મળ્યા. રાજકોટના બીજા જાણીતા ગૃહસ્‍થોનાં નામ પણ તેણે ગણાવ્‍યાં. હાઇસ્‍કૂલના કેટલાક વિદ્યાર્થીઓનાં નામ પણ મારી પાસે આવ્‍યાં. હું તો આશ્ર્ચર્ય પામ્‍યો ને દુઃખી પણ થયો. મેં કારણ પૂછયું ત્‍યારે આ દલીલ થઇ, ‘ આપણે માંસાહાર નથી કરતા તેથી આપણે નમાલી પ્રજા છીએ. અંગ્રેજો આપણા ઉપર રાજય ચલાવે છે તેનું કારણ તેમનો માંસાહાર છે. હું કેવો કઠણ છું કે કેટલું દોડી શકું છું એ તો તમે જાણો જ છો. એનું કારણ પણ મારો માંસાહાર જ છે. માંસાહારીને ગૂંમડાં થાય નહીં, થાય તો તેને ઝટ રૂઝ આવે. આપણા શિક્ષકો તે ખાય છે, આટલા નામાંકિત માણસો ખાય છે, તે કંઇ વગરસમજયે ખાય છે ? તમારે પણ ખાવું જોઇએ.
ખાઇ જુઓ અને જોશો કે તમારામાં કેટલું જોર આવે છે.\’
આ કંઇ એક દિવસમાં થયેલી દલીલ નથી. એવી દલીલો અનેક દાખલાઓથી શણગારાયેલી ઘણી વાર થઇ. મારા વચેટ ભાઇ તો અભડાઇ ચુકયા હતા. તેમણે આ દલીલમાં પોતાની સંમતી આપી. મારા ભાઇના પ્રમાણમાં ને આ મિત્રના પ્રમાણમાં હું તો માયકાંગલો હતો. તેમનાં શરીર વધારે સ્‍નાયુબદ્ધ હતાં, તેમનું શરીરબળ મારા કરતાં ઘણું વધારે હતું. તેઓ હિમતવાન હતા. આ મિત્રનાં પરાક્રમો મને મુગ્‍ધ કરતાં. તે ગમે તેટલું દોડી શકતા. તેમની ઝડપ તો બહુ સરસ હતી. લાંબુ ને ઊંચું ખૂબ કૂદી શકે. માર સહન કરવાની શકિત પણ તેવી જ. આ શકિતનું પ્રદર્શન પણ મને વખતોવખત કરાવે. પોતાનામાં જે શકિત ન હોય તે બીજાનામાં જોઇને મનુષ્‍ય આશ્ર્ચર્ય પામે જ છે. તેવું મને થયું. આશ્ર્ચર્યમાંથી મોહ પેદા થયો. મારામાં દોડવાકૂદવાની શકિત નહીં જ જેવી હતી. હું પણ આ મિત્રના જેવો બળવાન થાઉં તો કેવું સારું !
વળી હું બહુ બીકણ હતો. ચોરના, ભૂતના, સર્પાદિના ભયોથી ઘેરાયેલો રહેતો. આ ભય મને પીડતા પણ ખૂબ. રાતના એકલા કયાંયે જવાની હિંમત ન મળે. અંધારામાં તો કયાંયે ન જાઉં. દીવા વિના સૂવું લગભગ અશકય. રખે અહીંથી ભૂત આવે. ત્‍યાંથી ચોર, ત્રીજી જગ્‍યાએથી સર્પ ! એટલે દીવો તો જોઇએ જ. પાસે સૂતેલી અને હવે કાંઇક જુવાનીમાં આવેલી સ્‍ત્રીની પાસે પણ આ મારી બીકની વાત હું કેમ કરી શકું ? મારા કરતાં તે વધારે હિંમતવાન હતી એટલું હું સમજી ગયો હતો, અને શરમાતો હતો. તેણે સર્પાદિનો ભય તો કદી જાણ્‍યો જ નહોતો. અંધારામાં એકલી ચાલી જાય. આ મારી નબળાઇઓની પેલા મિત્રને ખબર હતી. તે તો જીવતા સર્પોને પણ હાથે પકડે એમ મને કહે. ચોરથી ન જ ડરે. ભૂતને તો માને જ નહીં. આ બધું માંસાહારને પ્રતાપે છે એમ તેણે મને ઠસાવ્‍યું.
આ જ દિવસોમાં નર્મદનું નીચલું કાવ્‍ય નિશાળોમાં ગવાતું :
અંગ્રેજો રાજય કરે , દેશી રહે દબાઇ
દેશી રહે દબાઇ, જોને બેનાં શરીર ભાઇ
પેલો પાંચ હાથ પૂરો, પૂરો પાંચસેને.
આ બધાની મારા મન ઉપર પૂરી અસર થઇ. હું પીગળ્યો. માંસાહાર સારી વસ્‍તુ છે, તેથી હું બળવાન ને હિંમતવાન થઇશ. દેશ આખો માંસાહાર કરે તો અંગ્રેજોને હરાવી શકાય, એમ હું માનતો થયો.
માંસાહારનો આરંભ કરવાનો દિવસ મુકરર થયો.
આ નિશ્ર્ચય – આ આરંભ – નો અર્થ બધા વાંચનાર નહીં સમજી શકે. ગાંધી કુટુંબ વૈષ્‍ણવ સંપ્રદાયનું. માતપિતા અતિશય ચુસ્‍ત ગણાતાં. હવેલીએ હંમેશાં જાય. કેટલાંક મંદિરો તો કુટુંબના જ ગણાય. વળી ગુજરાતમાં જૈન સંપ્રદાયનું બહુ બળ. તેની અસર દરેક સ્‍થળે, દરેક પ્રવૃતિમાં જોવામાં આવે. એટલે માંસાહારનો જે વિરોધ, જે તિરસ્‍કાર ગુજરાતમાં અને શ્રાવકોમાં ને વૈષ્‍ણવોમાં જોવામાં આવે છે તેવો હિંદુસ્‍તાનમાં કે આખા જગતમાં બીજે કયાંય જોવામાં નહીં આવે. આ મારા સંસ્‍કાર.
માતપિતાનો હું પરમ ભકત. તેઓ મારા માંસાહારની વાત જાણે તો તેમનું તો વણમોતે તત્‍કાળ મૃત્‍યુ જ નીપજે એમ હું માનનારો. સત્‍યનો જાણ્‍યેઅજાણ્‍યે સેવક તો હું હતો જ. માંસાહાર કરતાં માતપિતાને છેતરવાનું રહેશે એ જ્ઞાન મને તે વેળા નહોતું એમ હું ન કહી શકું.
આવી સ્થિતિમાં મારો માંસાહાર કરવાનો નિશ્ર્ચય મારે સારુ બહુ ગંભીર ને ભયંકર વસ્‍તુ હતી.
પણ મારે તો સુધારો કરવો હતો. માંસાહારનો શોખ નહોતો. તેમાં સ્‍વાદ છે એવું ધારીને મારે માંસાહાર નહોતો આરંભવો. મારે તો બળવાન, હિંમતવાન થવું હતું, બીજાને તેવા થવા નોતરવા હતા, ને પછી અંગ્રેજોને હરાવી હિંદુસ્‍તાનને સ્‍વતંત્ર કરવું હતું. ‘સ્‍વરાજય’ શબ્‍દ તો ત્‍યારે નહોતો સાંભળ્યો. આ સુધારાની ધગશમાં હું ભાન ભૂલ્‍યો,

નીમેલો દિવસ આવ્‍યો. મારી સ્થિતિનું સંપૂર્ણ વર્ણન કરવું મુશ્‍કેલ છે. એક તરફ સુધારાનો ઉત્‍સાહ, જિંદગીમાં મહત્‍વના ફેરફાર કરવાની નવાઇ, અને બીજી તરફથી ચોરની જેમ સંતાઇને કાર્ય કરવાની શરમ, આમાં કંઇ વસ્‍તુ પ્રધાન હતી એનું મને સ્‍મરણ નથી. અમે નદી તરફ એકાંત શોધવા ચાલ્‍યા. દૂર જઇ કોઇ ન દેખી શકે એવો ખૂણો શોધ્‍યો, અને ત્‍યાં મેં કદી નહીં જોયેલી વસ્‍તુ – માંસ જોયુ ! સાથે ભઠિયારાને ત્‍યાંની ડબલરોટી હતી. બેમાંથી એક વસ્‍તુ ભાવે નહીં. માંસ ચામડા જેવુ લાગે. ખાવું અશકય થઇ પડયું. મને ઓકારી આવવા લાગી. ખાવું પડતું મેલવું પડયું.
મારી આ રાત્રિ બહુ વસમી ગઇ. ઊંઘ ન આવે. કેમ જાણે શરીરમાં બકરું જીવતું હોય ને રુદન કરતું હોય એમ સ્‍વપ્‍નામાં લાગે. હું ભડકી ઊઠું, પસ્‍તાઉં ને વળી વિચારું કે મારે તો માંસાહાર કર્યે જ છૂટકો છે, હિંમત ન હારવી ! મિત્ર પણ હારી જાય તેવા નહોતા. તેણે હવે માંસને જુદી જુદી રીતે રાંધવાનું ને શણગારવાનું તેમ જ ઢાંકવાનું કર્યું. નદીકિનારે લઇ જવાને બદલે કોઇ બબરચીની સાથે ગોઠવણ કરી છૂપી રીતે એક દરબારી ઉતારામાં લઇ જવાનું યોજયું અને ત્‍યાં ખુરશી, મેજ વગેરે સામગ્રીઓના પ્રલોભન વચ્‍ચે મને મૂકયો, આની અસર થઇ. રોટીનો તિરસ્‍કાર મોળો પડયો, બકરાની માયા છૂટી, ને માંસનું તો ન કહેવાય પણ માંસવાળા પદાર્થો દાઢે વળગ્‍યા. આમ એક વર્ષ વીત્‍યું હશે અને તે દરમિયાન પાંચ છ વાર માંસ ખાવા મળ્યું હશે, કેમ કે હંમેશા દરબારી ઉતારા ન મળે, હંમેશા માંસના સ્‍વાદિષ્‍ટ ગણાતાં સરસ ભોજનો તૈયાર ન થઇ શકે. વળી એવાં ભોજનોના પૈસા પણ બેસે. મારી પાસે તો ફૂટી બદામ સરખી નહોતી. એટલે મારાથી કંઇ અપાય તેમ નહોતું. એ ખર્ચ તો પેલા મિત્રે જ શોધવાનું હતું. તેણે કયાંથી શોધ્‍યું હશે તેની મને આજ લગી ખબર નથી. તેનો ઇરાદો તો મને માંસ ખાતો કરી મૂકવાનો – મને વટલાવવાનો -? હતો, એટલે પૈસાનું ખર્ચ પોતે કરે. પણ તેની પાસે પણ કંઇ અખૂટ ખજાનો નહોતો. એટલે આવાં ખાણાં કવચિત જ થઇ શકે.
જયારે જયારે આવું ખાણુ ખાવામાં આવે ત્‍યારે ત્‍યારે ઘેર જમવાનું તો ન બને. માતા જયારે જમવા બોલાવે ત્‍યારે ‘આજે ભૂખ નથી, પચ્‍યુ નથી’ એવાં બહાનાં કાઢવાં પડે. આમ કહેતાં દરેક વેળા મને ભારે આઘાત પહોચતો. આ જૂઠું, તેય માની સામે ! વળી જો માતપિતા જાણે કે દીકરા માંસાહારી થયા છે તો તો તેમના પર વીજળી જ પડે. આ ખ્‍યાલો મારું હ્રદય કોરી ખાતા હતા. તેથી મેં નિશ્ર્ચય કર્યો : ‘માંસ ખાવું આવશ્યક છે; તેનો પ્રચાર કરી હિંદુસ્‍તાનને સુધારશું; પણ માતપિતાને છેતરવાં અને જૂઠું બોલવું એ માંસ ન ખાવા કરતાંયે ખરાબ છે. તેથી માતપિતાના જીવતાં માંસ ન ખવાય. તેમના મૃત્‍યુ પછી સ્‍વતંત્ર થયે ખુલ્‍લી રીતે માંસ ખાવું, ને તે સમય ન આવે ત્‍યાં સુધી માંસાહારનો ત્‍યાગ કરવો. ’ આ નિશ્ર્ચય મેં મિત્રને જણાવી દીધો ને ત્‍યારથી માંસાહાર છૂટયો તે છૂટયો જ. માતપિતાએ તો કદી જાણ્‍યું જ નહીં કે તેમના બે પુત્ર માંસાહાર કરી ચૂકયા હતા.
માતપિતાને ન છેતરવાના શુભ વિચારને લઇને મેં માંસાહાર છોડયો. પણ પેલી મિત્રતા કંઇ ન છોડી. હું સુધારવા નીકળેલો પોતે જ અભડાયો ને અભડાયાનું મને ભાન સરખું ન રહ્યું.
તે જ સંગને લઇને હું વ્‍યભિચારમાં પણ પડત. એક વેળા મને આ ભાઇ વેશ્‍યાવાડમાં લઇ ગયા. ત્‍યાં એક બાઇના મકાનમાં મને યોગ્‍ય સૂચનાઓ આપીને મોકલ્‍યો. મારે કંઇ તેને પૈસા વગેરે આપવાના નહોતા. હિસાબ થઇ ચૂકયો હતો. મારે તો માત્ર ગોઠડી કરવાની હતી.
હું મકાનમાં પુરાયો તો ખરો. પણ જેને ઇશ્ર્વર ઉગારવા ઇચ્‍છે તે પડવા ઇચ્‍છતો છતાં પવિત્ર રહી શકે છે. આ કોટડીમાં હું તો આંધળો જ થઇ ગયો. મને બોલવાનું ભાન ન રહ્યું. શરમનો માર્યો સ્‍તબ્‍ધ થઇ એ બાઇની પાસે ખાટલા પર બેઠો, પણ બોલી જ ન શકયો. બાઇ ગુસ્‍સે થઇ ને મને બેચાર ‘ચોપડી’ ને દરવાજો જ બતાવ્‍યો.
તે વેળા તો મારી મરદાનગીને લાંછન લાગ્‍યું એમ મને થયું, ને ધરતી મારગ દે તો તેમાં પેસી જવા ઇચ્‍છયું. પણ આમ ઊગર્યાને સારું મેં ઇશ્ર્વરનો સદાય પાડ માન્‍યો છે. આવા જ પ્રસંગ મારી જિંદગીમાં બીજા ચાર આવેલા છે. તેમાંના ઘણામાં, મારા પ્રયત્‍ન વિના, સંજોગોને લીધે હું બચ્‍યો છું એમ ગણાય. વિશુદ્ધ દષ્ટિએ તો એ પ્રસંગોમાં હું પડયો જ ગણાઉં. મેં વિષયની ઇચ્‍છા કરી એટલે હું તે કરી ચૂકયો છતાં, લૌકિક દષ્ટિએ, ઇચ્‍છા કર્યા છતાં પ્રત્‍યક્ષ કર્મથી જે બચે છે તેને આપણે બચ્‍યો ગણીએ છીએ. અને હું આ પ્રસંગોમાં એ જ રીતે, એટલે જ અંશે બચ્‍યો ગણાઉં. વળી કેટલાંક કાર્યો એવાં છે કે જે કરવાથી બચવું એ વ્‍યકિતને અને તેના સહવાસમાં આવનારને બહુ લાભદાયી નીવડે છે, અને જયારે વિચારશુદ્ધિ થાય છે ત્‍યારે તે કાર્યમાંથી બચ્‍યાને સારું તે ઇશ્ર્વરનો અનુગ્રહ માને છે. જેમ ન પડવાનો પ્રયત્‍ન કરતો છતો મનુષ્‍ય પડે છે એવું આપણે અનુભવીએ છીએ, તેમ જ પડવા ઇચ્‍છતો છતો અનેક સંજોગોને કારણે મનુષ્‍ય બચી જાય છે એ પણ અનુભવસિદ્ધ વાત છે. આમાં પુરુષાર્થ કયાં છે. દૈવ કયાં છે, અથવા કયા નિયમોને વશ વર્તીને મનુષ્‍ય છેવટે પડે છે અથવા બચે છે, એ પ્રશ્ર્નો ગુઢ છે. તેનો ઉકેલ આજ લગી થયો નથી અને છેવટનો નિર્ણય થઇ શકશે કે નહીં એ કહેવું કઠિન છે.
પણ આપણે આગળ ચાલીએ.
પેલા મિત્રની મિત્રતા અનિષ્‍ટ છે એ વાતનું ભાન મને હજુયે ન થયું. તેમ થાય તે પહેલા મારે હજુ બીજા કડવા અનુભવો લેવાના જ હતા. એ તો જયારે તેનામાં ન ધારેલા દોષોનું મને પ્રત્‍યક્ષ દર્શન થયું ત્‍યારે જ હું કળી શકયો. પણ હું બને ત્‍યાં લગી વખતના અનુક્રમ પ્રમાણે મારા અનુભવો લખી રહ્યો છું તેથી બીજા હવે પછી આવશે. એક વસ્‍તુ આ સમયની છે તે કહેવી પડે. અમ દંપતી વચ્‍ચે કેટલોક અંતરાય પડતો અને કંકાસ થતો તેનું કારણ આ મિત્રતા પણ હતું. હું આગળ જણાવી ગયો કે હું પ્રેમી તેવો જ વહેમી પતિ હતો. મારા વહેમમાં વૃદ્ધિ કરનાર આ મિત્રતા હતી, કેમ કે મિત્રની સચ્‍ચાઇ ઉપર મને અવિશ્ર્વાસ જ નહોતો. આ મિત્રની વાતો માનીને મેં મારી ધર્મપત્‍નીને કેટલુંક દુઃખ દીધું છે. તે હિંસાને સારું મેં મને કદી માફી નથી આપી. એવાં દુઃખો હિંદુ સ્‍ત્રી જ સાંખતી હશે. અને તેથી મેં હંમેશા સ્‍ત્રીને સહનશીલતાની મૂર્તિરૂપે કલ્‍પી છે. નોકર ઉપર ખોટો વહેમ જાય ત્‍યારે નોકર નોકરી છોડે, પુત્ર ઉપર એવું વીતે તો બાપનું ઘર છોડે. મિત્ર મિત્ર વચ્‍ચે વહેમ દાખલ થાય એટલે મિત્રતા તૂટે. સ્‍ત્રી ધણી ઉપર વહેમ લાવે તો તે સમસમીને બેસી રહે. પણ જો પતિ પત્‍નીને વિશે વહેમ લાવે તો પત્‍નીના તો બિચારીના ભોગ જ મળ્યા. તે કયાં જાય ? ઊંચ મનાતા વર્ણની હિંદુ સ્‍ત્રી અદાલતમાં જઇ બંધાયેલી ગાંઠને કપાવી પણ ન શકે, એવો એકપક્ષી ન્‍યાય તેને સારું રહેલો છે. એવો ન્‍યાય મેં આપ્‍યો તેનું દુઃખ કદી વીસરી શકું તેમ નથી. એ વહેમનો સર્વથા નાશ તો જયારે મને અહિંસાનું સુક્ષ્‍મ જ્ઞાન થયું ત્‍યારે જ થયો. એટલે કે જયારે હું બ્રહ્મચર્યનો મહિમા સમજયો, ને સમજયો કે પત્‍ની પતીની દાસી નથી પણ તેની સહચારિણી છે, સહધર્મિણી છે, બન્‍ને એકબીજાનાં સુખદુઃખનાં સરખાં ભાગીદાર છે, અને જેટલી સ્‍વતંત્રતા સારું નઠારું કરવાની પતિને છે, તેટલી જ સ્‍ત્રીને છે. એ વહેમના કાળને જયાર સંભારું છું ત્‍યારે મને મારી મૂર્ખતા ને વિષયાંધ નિર્દયતા પર ક્રોધ આવે છે, ને મિત્રતાની મારી મૂર્છાને વિશે દયા ઊપજે છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors