ગુજરાતની પ્રજાને પરોપજીવી મટાડી, પોતાની તેજસ્વી કૃતિઓ વડે ગુજરાતના પાટનગર શ્રીપત્તન (પાટણ)ને ભારતમાં અગ્રગણ્ય સારસ્વતકેન્દ્રોની હરોળમાં બેસાડનાર જાજવલ્યમાન ગુર્જરરત્ન, કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યનો જન્મ વિ. સં. ૧૧૪૫ની કાર્તિકી પૂર્ણિમાએ ધંધુકા મુકામે મોઢ વણિક કુટુંબમાં થયેલો. ચાંગદેવ એમનું બચપણનું નામ. બાળપણથી જ અપ્રતિમ બુદ્ધિમત્તાવાળા ચાંગદેવની અનન્યસાધારણ મેધા પરખી પૂર્ણતર ગચ્છના મુનિ દેવચન્દ્રજી એમને પોતાની સાથે ખંભાત લઈ ગયા. પાછળથી પિતા ચાચિંગને જાણ થતાં અન્નત્યાગ કરી પુત્રને શોધતા ખંભાત આવ્યા. ઉદયન મંત્રીએ તેના ખોળામાં સમૃદ્ધિનો ઢગલો કરીને ચાંગદેવની તેજસ્વી મેધાને પૂર્ણતઃ ચમકાવવાની તક આપવા સમજાવ્યા. સાચી વસ્તુસ્થિતિ સમજાતાં પિતાએ એ સમૃદ્ધિનો સ્પર્શ પણ કર્યા […]