મહાત્મા ગાંધીની આત્મકથા \’સત્યના પ્રયોગો\’મારો સારાંશ- જન્મ

૧. જન્મ

કબા ગાંધીને પણ એક પછી એક ચાર ઘર થયેલાં. પહેલાં બેથી બે દીકરીઓ હતી; છેલ્‍લાં પૂતળીબાઇથી એક દીકરી અને ત્રણ દીકરા. તેમાંનો છેલ્‍લો હું. પિતા કુટુંબપ્રેમી, સત્‍યપ્રીય, શૂરા, ઉદાર પણ ક્રોધી હતા. કંઇક વિષયને વિશે આસકત પણ હશે. તેમનો છેલ્‍લો વિવાહ ચાળીસમા વર્ષ પછી થયેલો. તેઓ લાંચથી દૂર ભાગતા, તેથી શુદ્ધ ન્‍યાય આપતા એવી અમારા કુટુંબમાં અને બહાર વાયકા હતી. રાજયના બહુ વફાદાર હતા. એક વેળા કોઇ પ્રાંતના સાહેબે રાજકોટના ઠાકોર સાહેબનું અપમાન કરેલું, તેની સામે તેઓ થયેલા. સાહેબ ગુસ્‍સે થયા, કબા ગાંધીને માફી માગવા ફરમાવ્‍યું. તેમણે માફી માગવાની ના પાડી તેથી થોડા કલાકને સારુ હાજતમાં પણ રહેલા. છતાં તે ન ડગ્‍યા તેથી અંતે સાહેબે તેમને છોડી દેવાનો હુકમ કર્યોં. પિતાશ્રીએ દ્રવ્‍ય એકઠું કરવાનો લોભ કદી નહોતો રાખ્‍યો. તેથી અમે ભાઇઓ સારુ જૂજ મિલકત મૂકી ગયેલા.
પિતાની કેળવણી કેવળ અનુભવની હતી. જેને આજે આપણે ગુજરાતી પાંચ ચોપડીનું જ્ઞાન ગણીએ તેટલી કેળવણી તે પામેલ હશે. ઇતિહાસભૂગોળનું જ્ઞાન તો મુદ્દલ ન મળે. આમ છતાં વ્‍યવહારુ જ્ઞાન એવા ઊંચા પ્રકારનું હતું કે ઝીણામાં ઝીણા પ્રશ્ર્નોના ઉકેલ કરવામાં કે હજાર માણસોની પાસે કામ લેવામાં તેમને મુશ્‍કેલી ન આવતી. ધાર્મિક કેળવણી નહીં જેવી હતી, પણ મંદિરોમાં જવાથી કથા વગેરે સાંભળીને જે ધર્મજ્ઞાન અસંખ્‍ય હિંદુઓને સહેજે મળી રહે છે તે તેમને હતું. છેવટના વર્ષમાં એક વિદ્ધાન બ્રાહ્મણ જેઓ કુટુંબના મિત્ર હતા તેમની સલાહથી તેમણે ગીતાપાઠ શરૂ કર્યો હતો અને રોજ થોડાઘણા શ્ર્લોકો પોતાના પૂજાના સમયે ઊંચે સ્‍વરે પાઠ કરી જતા.
માતા સાધ્‍વી સ્‍ત્રી હતી એવી મારા ઉપર છાપ રહેલી છે. તુ બહુ ભાવિક હતી. પૂજાપાઠ વિના કદી ન જમે. હવેલીએ હંમેશા જાય. હું સમજણો થયો ત્‍યારથી તેણે કદી ચાતુર્માસ છોડયા હોય એવું મને સ્‍મરણ નથી. કઠણમાં કઠણ વ્રત તે આદરતી અને નિર્વિધ્‍ને પૂરાં કરતી. લીધેલાં વ્રત માંદી પડે તોપણ ન જ છોડે. એવો એક સમય મને યાદ છે કે જયારે તેણે ચાંદ્રાયણ વ્રત લીધેલું, તેમાં માંદી પડેલી પણ વ્રતને ન છોડેલું. ચાતુર્માસમાં એક ટાણાં કરવાં એ તો તેને સામાન્‍ય વાત હતી. એટલેથી સંતોષ ન વાળતાં એક ચાતુર્માસમાં તેણે ધારણાંપારણાં કરેલાં. બેત્રણ સામટા ઉપવાસ એ એને મન નજીવી વાત હતી. એક ચાતુર્માસમાં તેનું એવું વ્રત હતું કે સૂર્યનારાયણનાં દર્શન કર્યા પછી જ જમાય. આ ચોમાસે અને છોકરા વાદળ સામું જોઇ રહીએ કે કયારે સૂર્ય દેખાય ને કયારે મા જમે. ચોમાસામાં ઘણી વેળા દર્શન દોહ્યલાં થાય એ તો સહુ જાણે છે. એવા દિવસો યાદ છે કે જયારે સૂર્યને અમે જોઇએ, ‘બા, બા, સૂરજ દેખાયો’ કહીએ ને બા ઉતાવળી ઉતાવળી આવે ત્‍યાં તો સૂરજ ભાગી જાય. ‘કંઇ નહીં, આજે નસીબમાં ખાવાનું નહીં હોય’ કહી પાછી જાય ને પોતાના કામમાં ગૂંથાઇ જાય.
માતા વ્‍યવહારકુશળ હતી. દરબારી બધી વાતો જાણે. રણવાસમાં તેની બુદ્ધિની આંકણી ઠીક મુકાતી. હું બાળક હોઇ કોઇ કોઇ વેળા મને મા દરબારગઢમાં સાથે લઇ જતી. ‘બામાસાહેબ’ ની સાથે થતા સંવાદો મને કેટલાક હજી યાદ છે.
આ માત પિતાને ત્‍યાં હું સંવત ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ને દિવસે, એટલે સને ૧૮૬૯ના ઑકટોબરની ૨જી તારીખે, પોરબંદર અથવા સુદામાપુરીમાં જન્‍મ પામ્‍યો.
બચપણ પોરબંદરમાં જ ગયું. કોઇ ‍નિશાળમાં મને મૂકવામાં આવેલો એવું યાદ છે. મુશ્‍કેલીથી થોડા પાડા શીખેલો. તે કાળે છોકરાઓની સાથે હું મહેતાજીને માત્ર ગાળ દેતાં શીખેલો એટલું યાદ છે, અને બીજું કાંઇ જ યાદ નથી. તેથી હું અનુમાન કરું છુ કે મારી બુદ્ધિ મંદ હશે, અને યાદશકિત જે કડી અમે છોકરા ગાતા તેમાંના કાચા પાપડના જેવી હશે. એ લીટીઓ મારે આપવી જ જોઇએ:
એકડે એક , પાપડ શેક;
પાપડ કચ્‍ચો, — મારો—
પહેલી ખાલી જગ્‍યાએ માસ્‍તરનું નામ હોય. તેને હું અમર કરવા નથી ઇચ્‍છતો. બીજી ખાલી જગ્યામાં છોડી દીધેલી ગાળ ભરવાની આવશ્‍યકતા ન હોય.
\’સત્યના પ્રયોગો\’માંથી સાભાર

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors