મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ સારાંશ-હાઇસ્‍કૂલ

હાઇસ્‍કૂલ

મારો અભ્‍યાસ ચાલુ રહ્યો. હાઇસ્‍કૂલમાં હું ઠોઠ નિશાળિયો ન ગણાતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચવી હતી. દરેક વર્ષે માબાપને વિદ્યાર્થીના અભ્‍યાસ તેમ જ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવતાં. તેમાં કોઇ દિવસ મારું વર્તન કે અભ્‍યાસ ખરાબ હોવાની ટીકા ગઇ નથી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધાં ને પાંચમા તથા છઠ્ઠા ધોરણમાં અનુક્રમે માસિક ચાર રૂપિ‍યા ને દસ રૂપિ‍યાની શિષ્‍યવૃતિ પણ મળી હતી. આ મળવામાં મારી હોશિયારી કરતાં દૈવે વધારે ભાગ લીધો હતો. એ વૃત્તિઓ બધા વિદ્યાર્થીઓને સારું નહીં, પણ જેઓ સોરઠ પ્રાંતના હોય તેમાં પહેલું પદ ભોગવે તેને સારું હતી. ચાળીસ-પચાસ વિદ્યાર્થીઓના વર્ગમાં તે કાળે સોરઠ પ્રાંતના વિદ્યાર્થી કેટલા હોઇ શકે ?
મારું પોતાનું સ્‍મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઇ માન નહોતું. ઇનામ કે શિષ્‍યવૃત્તિ મળે તો મને આશ્ર્ચર્ય થતું. પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઇ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાસે એ મને અસહ્ય થઇ પડે. એક વખત માર ખાવો પડયો હતો એવું મને સ્મરણ છે. મારનું દુઃખ નહોતું, પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. હું ખૂબ રડયો. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણનો છે. બીજો પ્રસંગ સાતમા ધોરણનો છે. તે વખતે દોરાબજી એદલજી ગીમી હેડમાસ્‍તર હતા. તે વિદ્યાર્થીપ્રીય હતા, કેમ કે તેઓ નિયમ જળવાવતા, પદ્ધતિસર કામ કરતા ને લેતા, તથા શિક્ષણ ઠીક આપતા. તેમણે ઉપલા ધોરણના વિદ્યાર્થીઓને સારુ કસરતક્રિકેટ ફરજિયાત કર્યા હતાં. મને તેનો અણગમો હતો. ફરજ પડી તે પહેલાં તો હું કદી કસરત, ક્રિકેટ કે ફુટબૉલમાં ગયો જ નહોતો. ન જવામાં મારી શરમાળ પ્રકૃતિ પણ એક કારણ હતું. હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ હતી. કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો. પાછળથી સમજયો કે વ્‍યાયામને એટલે શારીરિક કેળવણીને માનસિકના જેવું જ સ્‍થાન વિદ્યાભ્‍યાસમાં હોવું જોઇએ.
છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઇએ. તેનું કારણ એ કે, પુસ્‍તકોમાં ખુલ્‍લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી, ને તેથી હાઇસ્‍કૂલનાં ઉપલાં ધોરણોથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. તે છેવટ લગી રહી. ફરવું એ પણ વ્‍યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્‍યું.
અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઇચ્‍છા હતું. નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો. જયારે કસરત ફરજિયાત થઇ ત્‍યારે આ સેવામાં વિધ્‍ન પડયું. પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઇએ એવી વિનંતી કરી. પણ ગીમી સાહેબ શાના માફી આપે ? એક શનિવારે નિશાળ સવારની હતી. સાંજે ચાર વાગ્‍યે કસરતમાં જવાનું હતું. મારી પાસે ઘડિયાળ નહોતી. આકાશમાં વાદળાં હતાં, તેથી વખતની કંઇ ખબર નહોતી. વાદળાંથી હું છેતરાયો. કસરતમાં પહોંચું ત્‍યાં તો બધા જતા રહ્યા હતા. બીજે દિવસે ગીમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો. મને કારણ પૂછયું. મેં તો જે હતું તે કારણ બતાવ્‍યું. તેમણે તે સાચું ન માન્‍યું ને મારો એક આનો કે બે આના (કેટલો એ બરાબર યાદ નથી) દંડ થયો. હું ખોટો ઠર્યો ! મને અતિશય દુઃખ થયું. ‘હું ખોટો નથી’ એ કેમ સિદ્ધ કરું ? કશો ઉપાય ન રહ્યો. મનમાં ને મનમાં સમસમી રહ્યો. રોયો. સમજયો કે સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઇએ. આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્‍લી હતી. મને ઝાખું સ્‍મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શકયો હતો.
કસરતમાંથી તો મુકિત મેળવી જ. નિશાળમાં સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાને અર્થે ઇચ્‍છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્‍તરને મળવાથી મુકિત મળી.
વ્‍યાયામને બદલે ફરવાનું રાખ્‍યું તેથી શરીરને વ્‍યાયામ ન કરાવ્‍યાની ભૂલને સારુ કદાચ મારે સજા નથી ભોગવવી પડી; પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્‍યાલ મારામાં કયાંથી આવ્‍યો એ હું જાણતો નથી. પણ છેક વિલાયત જતાં લગી એ રહ્યો. પછી અને મુખ્‍યત્‍વે કરીને દક્ષિ‍ણ આફ્રિકામાં, જયાં વકીલોના અને દક્ષિ‍ણ આફ્રિકામાં જન્‍મેલા ને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્‍યારે, હું લજવાયો ને પસ્‍તાયો. મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઇએ. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્‍ન કર્યો, પણ પાકે ઘડે કંઇ કાંઠા ચડે ? જુવાનીમાં જેની મે અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શકયો. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાથી ચેતે ને સમજે કે સારા અક્ષર એ વિદ્યાનું આવશ્‍યક અંગ છે. સારા અક્ષર શીખવાને સારુ ચિત્રકળા આવશ્‍યક છે. હું તો એવા અભિપ્રાય ઉપર પહોચ્‍યો છું કે બાળકોને ચિત્રકળા પ્રથમ શીખવવી જોઇએ. જેમ પક્ષી ઓ, વસ્‍તુઓ વગેરેને જોઇ બાળક તેને યાદ રાખી સહેજે ઓળખે છે તેમ જ અક્ષર ઓળખતાં શીખે, ને જયારે ચિત્રકળા શીખી ચિત્રો વગેરે કાઢતાં શીખે ત્‍યારે અક્ષર કાઢતાં શીખે તો તેના અક્ષર છાપેલ જેવા થાય.
આ કાળના વિદ્યાભ્‍યાસનાં બીજાં બે સ્‍મરણ નોંધવાલાયક છે. વિવાહને લીધે એક વર્ષ ભાંગ્‍યું તે બચાવી લેવાનો બીજા ધોરણમાં માસ્‍તરે મારી પાસે વિચાર કરાવ્‍યો. મહેનતું વિદ્યાર્થીને એમ કરવાની રજા ત્‍યારે તો મળતી. આથી ત્રીજા ધોરણમાં હું છ માસ રહ્યો ને ઉનાળાની રજા પહેલાંની પરીક્ષા પછી મને ચોથા ધોરણમાં મૂકયો. અહીંથી કેટલુંક શિક્ષણ અંગ્રેજી મારફતે શરૂ થાય. મને કશી સમજ ન પડે. ભૂમિતિ પણ ચોથા ધોરણમાં શરૂ થાય. હું તેમાં પાછળ તો હતો જ, ને વળી એ મુદ્દલ ન સમજાય. ભૂમિતિશિક્ષક સમજાવવામાં સારા હતા. પણ મને કંઇ ગેડ જ ન બેસે. હું ઘણી વેળા નિરાશ થતો. કોઇ વેળા એમ થાય કે બે ધોરણ એક વર્ષમાં કરવાનું છોડી હું ત્રીજા ધોરણમાં ચાલ્યો જાઉં. પણ એમ કરું તો મારી લાજ જાય, ને જેણે મારી ખંત ઉપર વિશ્ર્વાસ રાખી મને ચડાવવાની ભલામણ કરી હતી તે શિક્ષકની પણ લાજ જાય. એ ભયથી નીચે ઊતરવાનો વિચાર તો બંધ જ રાખ્‍યો. પ્રયત્‍ન કરતાં કરતાં જયારે યુકિલડના તેરમા પ્રમેય ઉપર આવ્‍યો ત્‍યારે એકાએક મને થયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે. જેમાં કેવળ બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ જ કરવાનો છે તેમાં મુશ્‍કેલી શી ? ત્‍યાર બાદ હંમેશા ભૂમિતિ મને સહેલો અને રસિક વિષય થઇ પડયો.
હવે તો હું એવું માનું છું કે ભારતવર્ષના ઉચ્‍ચ શિક્ષણક્રમમાં સ્‍વભાષા ઉપરાંત રાષ્‍ટ્રભાષા હિંદી, સંસ્‍કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્‍થાન હોવું જોઇએ. આટલી ભાષાની સંખ્યાથી કોઇએ ડરી જવાનું કારણ નથી. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીની જ મારફતે શીખવાનો ને વિચારવાનો બોજો આપણી ઉપર ન હોય તો ઉપલી ભાષાઓ શીખવામાં બોજો નથી, એટલું જ નહીં પણ તેમાં અતીશય રસ રહેલો છે. વળી જે એક ભાષા ને શાસ્‍ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજીનું જ્ઞાન સુલભ થઇ પડે છે. ખરું જોતાં તો હિંદી, ગુજરાતી, સંસ્‍કૃત એક ભાષામાં ગણી શકાય. તેમ જ ફારસી ને અરબી એક ગણાય. ફારસી જોકે સંસ્‍કૃતને લગતી છે, ને અરબી હિબ્રુને લગતી છે, છતાં બન્‍ને ઇસ્‍લામના પ્રયટ થયા પછી ખેડાયેલી છે, તેથી બન્‍ને વચ્‍ચે નિકટ સંબંધ છે. ઉર્દૂને મેં અલગ ભાષા નથી ગણી, કેમ કે તેના વ્‍યાકરણનો સમાવેશ હિંદીમાં થાય છે. તેના શબ્‍દો તો ફારસી અને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દૂ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે છે, જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિંદી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્‍કૃત જાણવું આવશ્‍યક છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors