અશાંતને સુખ ક્યાંથી ?

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના બીજા અધ્યાય સાંખ્યયોગના 66મા શ્લોકમાં એક ગજબ વિધાન કર્યું છે :– \”અશાન્તસ્ય કુત: સુખમ્ ?\”

એક સજ્જને કહ્યું કે આ અદભૂત વિધાન વિષે આપણે કાંઈક વધુ વિચારીએ તો? ગીતાજી વિષે તો જેટલું વિચારીએ તેટલું ઓછું ગણાય. ગીતાજીને જ્ઞાનસાગર કહી શકાય. તેમાં એક એકથી ચડીયાતાં અનેક રત્નો છે. કહેવાય છે કે મરજીવાઓ મહાસાગરમાં અવાર નવાર ડૂબકી મારી મહામૂલાં મોતી વીણી લાવતા હોય છે. આપણે પણ ગીતાજી અવાર નવાર વાંચીએ તો આપણને પણ મહામૂલાં મોતી મળે.

ગીતાજીમાં પરમાત્માએ અમર આત્મા અને નાશવંત શરીર વિષે સમજાવ્યું. મૃત્યુનો શોક કરવો ઉચિત નથી એ સમજાવ્યું. ઈચ્છાઓ જ સુખ દુખનું કારણ હોવાથી તેને તજવા સમજાવ્યું. ક્રોધની ભયાનક અસરો સમજાવી તેને તજવા કહ્યું. કર્મ, જ્ઞાન અને ભક્તિયોગનો અર્થ આપણને સમજાવ્યો. સાત્વિક દાન અને ઉત્તમ જીવન વિષે સમજાવ્યું અને છેલ્લા અધ્યાયમાં બધું છોડીને પરમાત્માને શરણે જવા કહ્યું. આ બધા જીવન ઉપયોગી ઉપદેશ પછી પણ, તેને આંખ બંધ રાખીને અનુસરવા નથી કહ્યું પરંતુ  શાંત ચિત્તે વિચારીને યોગ્ય લાગે તો તેનું આચરણ કરવા કહ્યું છે.

ગીતાજીનું ગહન જ્ઞાન આપણને કદાચ ન સમજાય પરંતુ આપણા ઈતિહાસમાં નોંધાયેલા બનાવો કે અખબારમાં છપાતા સમાચારોને આધારે વિચારવાનું કાંઈક સરળ થઈ પડે.

ઈતિહાસમાં મહાન સમ્રાટ સિકંદરનું નામ આપણે વાંચેલું છે. લખલૂંટ ધન ભેગું કરવાની લાલસાને કારણે તેણે ભારત પર આક્રમણ કર્યું. અનેક રાજાઓને હરાવીને પુષ્કળ ધન ભેગું કર્યું. ભારતના કોઈ પરમ સંત વિષે તેણે સાંભળ્યું. સામાન્ય સાધુ કરતાં પોતે કેટલો બધો ચડીયાતો છે, મોટા મોટા મહારાજાઓ તેને માથું નમાવે છે એવું પ્રદર્શન કરવાની ઈચ્છાથી તેણે સાધુને પોતાના મહેલે આવવા નિમંત્રણ મોકલ્યું. સાધુ તો વિરક્ત મહાત્મા હતા. તેમને કોઈ જ ઈચ્છા ન હતી. તેમણે આમંત્રણ ન સ્વીકારતાં સિકંદરને અપમાન લાગ્યું. છેવટે સિકંદર તેમને મળવા ગયો. પોતે એક મહાન વિજેતા છે એ વાત દુભાષિયા મારફત સમજાવી. મહાત્માએ પૂછ્યું – તમારા દેશમા વરસાદ નથી પડતો ? અનાજ નથી પાકતું ? જો બે ટંક ભોજન મળી રહેતું હોય તો, લાખો લોકોનો નિરર્થક સંહાર કરવાની શું જરુર ? સિકંદરને કાંઈક સમજાણું. તેણે સાધુને કાંઈક માગવા વિનંતિ કરી. મહાત્માએ ના પાડી. ધનની નિરર્થકતા સમજાતાં સિકંદર ભારત છોડીને પોતાને દેશ ચાલ્યો ગયો.

જીવનના અંતિમ દિવસોમાં બધા વૈદો, હકીમોને બોલાવી ગમે તે ભોગે પોતાને બચાવવા સિકંદરે કહ્યું. પણ તે શક્ય ન બનતાં તે ખૂબ નિરાશ થઈ ગયો. કહેવાય છે કે તેણે તેના અંગત સ્વજનોને કહ્યું કે મારો જનાજો આ બધા વૈદો, હકીમો પાસે ઉપડાવજો અને મારા જનાજા બહાર ખુલ્લા હાથ રાખજો. ગમે તેટલું ધન કે વૈદ, હકીમ માનવીને બચાવી શકતા નથી.

\”જે બાહુબળથી મેળવ્યું, તે ભોગવી પણ ના શક્યો,
અબજોની મિલ્કત આપતાં પણ, એ સિકંદર ના બચ્યો.\”

આવી જ એક બીજી ઘટના ઈતિહાસમાં નોંધાયેલી છે. દિલ્હીમાં મોગલ સલ્તનતના છેલ્લા શહેનશાહ બહાદુરશાહ ઝફરનું રાજ્ય હતું. અંગ્રેજ રાજ્ય વિરુધ્ધના 1857ના બળવામાં બહાદુરશાહ બળવાખોરોને મદદ કરે છે તેવી બાતમી મળતાં, અંગ્રેજોએ  તેમને કેદ કરી રંગુન (બર્મા ) મોકલી દીધા. પોતાને ફરીથી ભારત મોકલવા અંગ્રેજોને તેમણે વારંવાર વિનંતિ કરી. પરંતુ કોઈએ તે ન સાંભળી. પોતાનું મૃત્યુ નજીક છે તેમ લાગતાં તેમના દેહની દફનવિધિ ભારતના કોઈ કબ્રસ્તાનમાં કરવા વિનંતિ કરી તે પણ ન સ્વીકારાઈ તેથી એકદમ હતાશ થઈ તેમણે લખ્યું :

\”કિતના હૈ બદનશીબ ઝફર, દફનકે લિયે,
દો ગજ જમીં ભી ન મીલી કોઈ દયારમેં…\”

એક શહેનશાહની સામાન્ય અતિમ ઈચ્છા પણ પૂરી ન થઈ.
હમણા હમણાં અખબારમાં એક મહાઠગ વિષે રોજ લખાય છે. નિર્દોષ માનવીઓને ભોળવીને એકના ત્રણ ગણા કરી દેવાની લાલચ આપી તે નરાધમે રુ.1800 કરોડનું કૌભાંડ કર્યું. દિકરીના લગ્ન માટે ભેગી કરેલી મૂડી  કે માતા પિતાની સારવાર માટે ભેગી કરેલી મૂડી આ મહાઠગની લાલચમાં આવી લોકોએ તેને રોકાણ તરીકે આપી. કદાચ શહેનશાહ બહાદુરશાહ ઝફરની જેમ તેને દફન કે દહન માટે કદાચ બે ગજ જમીન નહીં મળે એવા ડરથી તેણે બહુ મોટી જમીનના સોદા પોતાને નામે કરી લીધા. કરોડો રુપીયાના સોનાના અલંકારો તેની પાસે છે. પરંતુ ગમે તે કારણે તેનું કૌભાંડ ખુલ્લું પડી ગયું. અત્યારે તે જેલના સળીયા ગણે છે, અને છૂટવા ફાંફાં મારે છે.

સૌ સુખ માટે હવાતીયાં મારે છે, પણ તે હાથતાળી દઈને ભાગી જાય છે.  ગમે તેટલું ધન સુખ આપી શકતું નથી. એ સમજવા છતાં ધન તરફની આંધળી દોટ ચાલુ જ રહે છે. તે ન સંતોષાતાં અશાંતિ સર્જાય છે. અશાંત માનવીને સુખ મળતું નથી એ સનાતન સત્ય તો ખુદ પરમાત્માએ આપણને સમજાવ્યું છે.

આ જ અધ્યાયમાં શ્લોક નં. 70 માં આવું જ બીજું ગજબ કથન છે કે :- \”સ: શાંતિમ્ આપ્નોતિ ન કામકામી…\”

ધન કે વિષયોની ઈચ્છા રાખનારાને શાંતિ મળતી નથી. પરમાત્માએ અધ્યાય નં. 6માં ધ્યાન માટે ખૂબ ભાર દીધો છે, એ ભૂલવા જેવું નથી. ધ્યાન દ્વારા પરમ શાંતિ મેળવવાની વાત આપણે પ્રકરણ 14માં વાંચેલી છે. એ અનુભવવા જેવું છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors