મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ સારાંશ-મારી પસંદગી

મારી પસંદગી     
મેં ઉપકાર સાથે સૂચના કબૂલ રાખી. મિત્રને ત્યાં ગયો. તેમને બરદાસમાં કાંઇ મણા નહોતી. મને પોતાના સગા ભાઇની જેમ રાખ્યો, અંગ્રેજી રીતરીવાજો શીખવ્યાં; અંગ્રેજીમાં કંઇક વાત કરવાની ટેવ તેમણે જ પાડી એમ કહી શકાય.
મારા ખોરાકનો પ્રશ્ર્ન બહુ મોટો થઇ પડયો. મીઠું મસાલા વિનાનાં શાકો ભાવે નહીં. ઘરધણી બાઇ મારે સારું શું રાંધે ? સવારે તો ઓટમીલની ઘેંસ થાય એટલે કંઇક પેટ ભરાય, પણ બપોરે અને સાંજે હંમેશા ભૂખ્યો રહું. મિત્ર માંસાહાર કરવાનું રોજ સમજાવે. હું તો પ્રતિજ્ઞાની આડ બતાવી મૂંગો થાઉં. તેમની દલીલોને પહોંચી ન શકું. બપોરે માત્ર રોટી અને તાંદળજાની ભાજી તથા મુરબ્બા ઉપર રહું. તેવો જ ખોરાક સાંજે. હું જોઉં કે રોટી તો બેત્રણ કટકા જ લેવાય, વધારેની માગણી કરતાં શરમ આવે. મને સારી પેઠે ખાવાની ટેવ હતી. હોજરી તેજ હતી ને બહુ માગતી. બપોરે કે સાંજે દૂધ તો હોય નહીં. મારી આવી સ્થિતિ જોઇને મિત્રને એક દિવસ ખીજ ચડી ને બોલ્યામ : ‘જો તું માનો જણ્યો ભાઇ હોત તો હું તને જરૂર પાછો જ મોકલી દેત. નિરક્ષર માને, અહીંની પરિસ્થિતિ જાણ્યા વિના, આપેલી પ્રતિજ્ઞાની કિંમત શી ? એ પ્રતિજ્ઞા જ ન કહેવાય. હું તને કહું છું કે આને કાયદો પ્રતિજ્ઞા નહી ગણે. આવી પ્રતિજ્ઞાને વળગી રહેવું એ તો કેવળ વહેમ ગણાય. અને આવા વહેમને વળગી રહી તું આ મુલકમાંથી કંઇ જ દેશ નહીં લઇ જાય. તું તો કહે છે કે તેં માંસ ખાધુ છે. તને તે ભાવ્યું પણ ખરું. જયાં ખાવાની કશી જરૂર નહોતી ત્યાં ખાધું. જયાં ખાવાની ખાસ જરૂર ત્યાં ત્યાગ ! આ કેવું આશ્ર્ચર્ય ! ’
હું એક ટળી બે ન થયો.
આવી દલીલો રોજ ચાલે. છત્રીસ રોગનો હરનાર એક નન્નો જ મારી પાસે હતો. મિત્ર જેમ મને સમજાવે તેમ મારી દઢતા વધે. રોજ ઇશ્ર્વરની રક્ષા યાચું ને મને મળે. ઇશ્ર્વર કોણ તે હું ન જાણું. પણ પેલી રંભાએ આપેલી શ્રદ્ધા પોતાનું કામ કરી રહી હતી.
એક દિવસ મિત્રે મારી પાસે બેથમનો ગ્રંથ વાંચવાનું શરૂ કર્યું. ઉપયોગીતાવાદ વિશે વાંચ્યું. હું ગભરાયો ભાષા ઊંચી, હું માંડ સમજું. તેનું તેમણે વિવેચન કર્યું.
મેં ઉત્તર આપ્યો:‘મને માફ કરો એમ ઇચ્છું છું. હું આવી ઝીણી વાતો નહીં સમજું. માંસ ખાવું જોઇએ એ હું કબૂલ કરું છું. પણ મારી પ્રતિજ્ઞાનું બંધન હું નહીં તોડી શકું. એને વિશે દલીલ હું નહીં કરી શકું. દલીલમાં તમને હું ન જ જીતું એવી મારી ખાતરી છે. પણ મને મૂરખ માનીને અથવા હઠીલો માનીને આ બાબતમાં મને છોડી દો. તમારો પ્રેમ હું સમજું છું. તમારો હેતું સમજું છું. તમને હું મારા પરમ હિતેચ્છું માનું છું. તમને દુઃખ થાય છે તેથી તમે મને આગ્રહ કરો છો એ પણ હું જોઇ રહ્યો છું. પણ હું લાચાર છું. પ્રતિજ્ઞા નહીં તૂટે. ’
મિત્ર જોઇ રહ્યા. તેમણે પુસ્તેક બંધ કર્યું. ‘બસ, હવે હું દલીલ નહીં કરું. ’ કહી ચુપ રહ્યા. હું રાજી થયો. આ પછી તેમણે દલીલ કરવી છોડી દીધી.
પણ મારે વિશેની તેમની ચિંતા દૂર ન થઇ. તે બીડી પીતા, દારૂ પીતા મને તેમાંની એકે વસ્તુ કરવાનું કદી ન કહ્યું. ઊલટું તે ન કરવાનું કહે. માંસાહાર વિના હું નબળો થઇશ અને ઇંગ્લેન્ડ માં છૂટથી રહી નહીં શકું એ તેમની ચિંતા હતી.
આમ મેં એમ માસ નવા શિખાઉ તરીકે ઉમેદવારી કરી. મિત્રનું મકાન રિચમંડમાં હતું. એટલે લંડન જવાનું અઠવાડિયામાં એક બે વાર જ થાય. હવે મને કોઇ કુટુંબમાં મૂકવો જોઇએ એવો વિચાર દાકતર મહેતા તથા ભાઇ દલપતરામ શુકલે કર્યો. ભાઇ શુકલે વેસ્ટુ કેન્સિગ્ટોનમાં એક ઍગ્લોકઇંડિયનનું ઘર શોધ્યું ને ત્યાં મને મૂકયો. ઘરધણી બાઇ વિધવા હતી. તેને મારા માંસત્યાગની વાત કરી. ડોસીને મારી દેખરેખ રાખવાનું કબુલ્યું. હું ત્યાં રહ્યો. અહીં પણ ભૂખે દિવસ જાય. મેં ઘેરથી મીઠાઇ વગેરે ખાવાનું મંગાવ્યું હતું તે હજુ આવ્યું નહોતું. બધું મોળું લાગે. ડોસી હંમેશા પૂછે; પણ તે શું કરે ? વળી હું હજું શરમાઉં. ડોસીને બે દીકરીઓ હતી. તે આગ્રહથી થોડી વધારે રોટી આપે. પણ તે બિચારી શું જાણે કે તેની આખી રોટી હું ખાઇ જાઉં ત્યારે જ મારું પેટ ભરાય એમ હતું ?
પણ હવે મને પાંખ આવવા લાગી હતી. હજુ અભ્યાસ તો શરૂ નહોતો થયો. માંડ વર્તમાનપત્ર વાંચતો થયો હતો. એ પ્રતાપ ભાઇ શુકલના હતા. હિંદુસ્તાનમાં મેં કદી વર્તમાનપત્ર વાંચ્યા નહોતાં. પણ નિરંતર વાંચવાના અભ્યાસથી તે વાંચવાનો શોખ કેળવી શકયો. ‘ડેલી ન્યૂ્સ’ , ‘ડેલી ટેલિગ્રાફ’ અને ‘પેલમેલ ગૅઝેટ’ એટલાં પત્રો ઉપર આંખ ફેરવતો. પણ તેમાં તો પ્રથમ ભાગ્યે‍ જ કલાક જતો હશે.
મેં તો ભ્રમણ શરૂ કર્યું. મારે નિરામિષ એટલે કે અન્નાહાર આપવાનું ભોજનગૃહ શોધવું હતું. ધરઘણી બાઇએ પણ કહેલું કે લંડન તળમાં એવાં ગૃહો છે ખરાં. હું રોજ દશબાર માઇલ ચાલું. કોઇ ગરીબડા ભોજનગૃહમાં જઇ પેટ ભરીને રોટી ખાઇ લઉં, પણ સંતોષ ન વળે. આમ ભટકતાં એક દિવસ હું ફ્રેરિંગ્ડમન સ્ટ્રીટ પહોંચ્યો ને ‘વેજિટેરિયન રેસ્ટઆરાં’ (અન્નાહારી વીશી) એવું નામ વાંચ્યું. બાળકને મનગમતી વસ્તુ્ મળવાથી જે આનંદ થાય તે મને થયો. હર્ષઘેલો હું અંદર થાઉં તેના પહેલા તો મેં દરવાજા પાસેની કાચની બારીમાં વેચવાના પુસ્તકો જોયાં. તેમાં મેં સૉલ્ટનું ‘અન્નાંહારની હિમાયત’ નામનું પુસ્તીક જોયું. એક શિંલીગ આપી ખરોદ્યું ને પછી જમવા બેઠો. વિલાયતમાં આવ્યા પછી પેટ ભરીને ખાવાનું પ્રથમ અહીં મળ્યું. ઇશ્ર્વરે મારી ભૂખ ભાગી.
સૉલ્ટ નું પુસ્તક વાંચ્યું. મારા પર તેની છાપ સરસ પડી. આ પુસ્તક વાંચ્યા ની તારીખથી હું મરજિયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતો થયો. માતાની પાસે કરેલી પ્રતિજ્ઞા હવે મને વિશેષ આનંદદાયી થઇ પડી; અને જેમ અત્યાર સુધીમાં બધા માંસાહારી થાય તો સારુ એમ માનતો હતો, અને પ્રથમ કેવળ સત્ય જાળવવાને ખાતર અને પાછળથી પ્રતિજ્ઞા જાળવવાને ખાતર જ માંસત્યાગ કરતો હતો, ને ભવિષ્ય માં કોઇ દહાડો પોતે છૂટથી ઉઘાડી રીતે માંસ ખાઇ બીજાને ખાનારની ટોળીમાં ભેળવવાની હોંશ રાખતો હતો, તેમ હવે જાતે અન્નાહારી રહી બીજાને તેવા બનાવવાનો લોભ લાગ્યો.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors