મહાત્મા ગાંધીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ સારાંશ-ન્યાતીબહાર

ન્યાતીબહાર        
માતાની આજ્ઞા અને તેના આર્શીવાદ લઇ, થોડા માસનું બાળક સ્ત્રીના સાથે મેલી હું હોંશે હોંશે મુંબઇ પહોચ્યો. પહોંચ્યો તો ખરો, પણ ત્યાં મિત્રોને ભાઇએ કહ્યું કે, જૂન – જુલાઇમાં હિંદી મહાસાગરમાં તોફાન હોય છે. ને મારી આ પહેલી જ દરિયાની સફર હોવાથી મને દિવાળી બાદ એટલે નવેમ્બર માસમાં મોકલવો જોઇએ. વળી કોઇએ તોફાનમાં કોઇક આગબોટ ડૂબી જવાની વાત પણ કરેલી. આથી મોટા ભાઇ અકળાયા. તેમણે એમ જોખમ ખેડીને મને તુરત મોકલવાની ના પાડી અને મને મુંબઇમાં મિત્રને ત્યાંય મૂકી પોતે પાછા પોતાની નોકરીને ચડવા રાજકોટ ગયા. એક બનેવીની પાસે પૈસા મૂકતા ગયા ને મને મદદ કરવાની કેટલાક મિત્રોને ભલામણ કરતા ગયા.
મુંબઇમાં મારા દિવસો લાંબા થઇ પડતા. મને વિલાયતમાં જ સ્વપ્નાં આવે.
દરમ્યાન નાતમાં ખળભળાટ ઊઠયો. નાત બોલાવવામાં આવી. મોઢ વાણિયો કોઇ હજુ સુધી વિલાયત નહોતો ગયો, અને હું જાઉં તો મારી હાજરી લેવાવી જોઇએ! મને નાતની વાડીમાં હાજર રહેવા ફરમાવવામાં આવ્યું. હું ગયો. મને ખબર નથી કે મને એકાએક હિંમત કયાંથી આવી. મને હાજર રહેતાં ન સંકોચ થયો, ન ડર લાગ્યો . નાતના શેઠની સાથે કંઇક છેટેની સગાઇ પણ હતી. પિતાની સાથે તેમનો સંબંધ સારો હતો. તેમણે મને કહ્યું :
‘નાત ધારે છે કે તે વિલાયત જવાનો વિચાર કર્યો છે તે બરોબર નથી. આપણા ધર્મમાં દરિયો ઓળંગવાની મનાઇ છે. વળી વિલાયતમાં ધર્મ ન સચવાય એવું અમે સાંભળીએ છીએ. ત્યાં સાહેબ લોકોની સાથે ખાવુંપીવું પડે છે.’
મેં જવાબ આપ્યોવ, ‘મને તો લાગે છે કે વિલાયત જવામાં મુદ્દલ અધર્મ નથી. મારે તો ત્યાં? જઇને વિદ્યાભ્યાસ જ કરવાનો છે. વળી જે વસ્તુઓનો આપને ભય છે તેનાથી દૂર રહેવાની મેં મારી માતુશ્રી પાસે પ્રતિજ્ઞા લીધી છે. એટલે હું તેથી દૂર રહી શકીશ. ’
‘પણ અમે તને કહીએ છીએ કે ત્યાં? ધર્મ ન જ સચવાય. તું જાણે છે કે તારા પિતાશ્રીની સાથે મારે કેવો સંબંધ હતો. તારે મારું કહેવું માનવું જોઇએ. ’ શેઠ બોલ્યા.
‘આપની સાથેના સંબંધની મને ખબર છે. આપ વડીલ સમાન છો. પણ આ બાબતમાં હું લાચાર છું. મારો વિલાયત જવાનો નિશ્ર્ચય હું નહીં ફેરવી શકું. મારા પિતાશ્રીના મિત્ર અને સલાહકાર જે વિદ્વાન બ્રાહ્મણ છે તેઓ માને છે કે મારા વિલાયત જવામાં કશો દોષ નથી. મારાં માતુશ્રી અને મારા ભાઇની આજ્ઞા પણ મને મળી છે. ’ મેં જવાબ આપ્યો.
‘પણ નાતનો હુકમ તું નહીં ઉઠાવે ? ’
‘હું લાચાર છું. મને લાગે છે કે આમાં નાતે વચમાં ન આવવું જોઇએ. ’
આ જવાબથી શેઠને રોષ ચડયો. મને બેચાર સંભળાવી. હું સ્વસ્થ બેસી રહ્યો. શેઠે હુકમ કર્યો: ‘આ છોકરાને આજથી નાતબહાર ગણવામાં આવશે. જે કોઇ તેને મદદ કરશે અથવા વળાવવા જશે તેને નાત પૂછશે, ને તેનો સવા રૂપિ‍યો દંડ થશે. \’
મારા ઉપર આ ઠરાવની કંઇ અસર ન થઇ. મેં શેઠની રજા લીધી. આ ઠરાવની અસર મારા ભાઇ ઉપર કેવી થશે એ વિચારવાનું હતું. તે ડરી જશે તો ? સદભાગ્યે? તે દઢ રહ્યા ને મને લખી વાળ્યું કે, નાતના ઠરાવ છતાં પોતે મને વિલાયત જતાં નહીં અટકાવે.
આ બનાવ પછી હું વધારે અધીરો બન્યો. ભાઇના ઉપર દબાણ થશે તો ? વળી કંઇ બીજું વિધ્ન આવશે તો ? આમ ચિંતામાં હું દિવસ ગુજારતો હતો તેવામાં ખબર સાંભળ્યા કે, ૪ થી સપ્ટેમ્બેરે ઊપડનારી સ્ટીમરમાં જૂનાગઢના એક વકીલ બારિસ્ટર થવા સારુ વિલાયત જવાના છે. જે મિત્રોને મોટા ભાઇને મારા વિશે ભલામણ કરી હતી તેમને હું મળ્યો. તેમણે પણ આ સથવારો ન ચૂકવો એમ સલાહ આપી. સમય બહુ થોડો હતો. ભાઇને તાર કર્યો ને મેં જવાની રજા માગી. તેમણે રજા આપી. મેં બનેલીની પાસેથી પૈસા માગ્યા. તેમણે નાતના હુકમની વાત કરી. નાતબહાર થવું તેમને ન પરવડે. કુટુંબના એક મિત્ર પાસે હું પહોચ્યો અને મને ભાડા વગેરેને સારુ જોઇતા પૈસા આપી ભાઇ પાસેથી તે મેળવી લેવા વિનંતી કરી. આ મિત્રે તેમ કરવા કબૂલ કર્યું, એટલું જ નહીં પણ મને હિંમત આપી. મેં તેમનો આભાર માન્યો , પૈસા લીધો, ને ટિકિટ કઢાવી.
વિલાયતની મુસાફરીનો બધો સામાન તૈયાર કરાવવાનો હતો. એક બીજા અનુભવી મિત્ર હતા તેમણે સામાન તૈયાર કરાવ્યો. મને બધું વિચિત્ર લાગ્યું . કેટલુંક ગમ્યું, કેટલુંક મુદ્દલ ન ગમ્યું. નેકટાઇ જે પાછળથી હું શોખે પહેરતો થઇ ગયો હતો તે તો જરાયે ન ગમે. ટૂંકું જાકીટ નાગો પોશાક લાગ્યો.
પણ વિલાયત જવાના શોખ આગળ આવો અણગમો કંઇ જ વસ્તુ નહોતી. સાથે ભાતું પણ ઠીક બાંધ્યું હતું.
મારી જગ્યાu પણ મિત્રોએ ત્રંબકરાય મજમુદાર (જે પેલા જૂનાગઢવાળા વકીલનું નામ હતું) ની કોટડીમાં જ રોકી. તેમને મારે વિશે ભલામણ પણ કરી. તે તો પુખ્ત ઉંમરના અનુભવી ગૃહસ્થં હતા. હું અઢાર વર્ષનો દુનિયાના અનુભવ વિનાનો જુવાનિયો હતો. મજમુદારે મારી ફિકર ન કરવા મિત્રોને કહ્યું.
આમ ૧૮૮૮ના સપ્ટેમ્બારની ૪ થી તારીખે મેં મુંબઇનું બંદર છોડયું.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors