આપણે સદનસીબ કે કમનસીબ ?

શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્ ગીતાજીના ઉપદેશ દ્વારા માનવ જીવનને શ્રેષ્ઠ બનાવવાનો  રાજમાર્ગ આપણને ચીંધ્યો છે. ઉપરના પ્રશ્નનો જવાબ ઝટ મળે તેમ છે. પરમાત્માએ ચીંધેલા માર્ગે ચાલીએ તો સદનસીબ અને એ માર્ગે ન ચાલીએ તો કમનસીબ. કહેવાય છે કે અમૃત અને ઝેરમાં એક સમાન ગુણ છે કે, એ અજાણતાં પીવો તો પણ એની અસર થાય છે. અમૃત અજાણતાં પીવો તો પણ અમર બની શકાય. ઝેર, સમજી વિચારીને, આપઘાત કરવા પીવો કે અજાણતાં પીવો તો પણ તેની ભયાનક અસર જીવલેણ બની શકે. એ જ રીતે ગીતાજી આપણા જીવનને સુધારવા વાંચીએ કે સાધારણ વાંચન રુપે વાંચીએ તો પણ એની સારી અસર જરુર થાય. ગીતાજી ગહન છે એમ માનીને વાંચવાનું ટાળીએ તો જીવન ન સુધરે. કેમ કે એ વિશ્વનું શ્રેષ્ઠ પુસ્તક છે.
આપણા વિદ્વાન લેખક શ્રી દિનકરભાઈ જોષીએ “ટચલી આંગળીએ ગોવર્ધન” નામના તેમના પુસ્તકમાં (ભાગ-1)માં લખ્યું છે કે વિદ્વાન માણસો પણ વર્તમાન સમય માટે હંમેશાં બળાપો વ્યક્ત કરતા હોય છે. હત્યાઓનો કોઈ સુમાર નથી, બળાત્કારો સ્વાભાવિક થઈ ગયા છે, જીવન અતિશય દુષ્કર થતું જાય છે વગેરે ફરિયાદો સામાન્ય છે. આવા સમયમાં જીવવા માટે પોતાને કમનસીબ માને છે. સૌ બીજાને સુધારવા ઈચ્છે છે. પરંતુ પોતાની જાતને સુધારવાનું કોઈ વિચારતું નથી. કોઈએ બહુ સરસ કહ્યું કે “બીજાની નાની નાની ભૂલો આપણને મોટાં ફળ જેવી દેખાય છે, અને આપણી મોટી ભૂલો, બીલોરી કાચથી પણ દેખાતી નથી.” એક અંગ્રેજ વિદ્વાને કહયું કે “દુનીયાના તમામ ભ્રષ્ટાચારી માણસોને તમે સુધારી ન શકો. પરંતુ એ સંખ્યામાંથી એક ભ્રષ્ટાચારીને ઓછો કરવાનું સામર્થ્ય તમારામાં છે, એ હકીકત છે.”
આપણા વિદ્વાન હાસ્યકાર શ્રી શહાબુદ્દીનભાઈ રાઠોડે તેમના એક કાર્યક્રમ દરમ્યાન બહુ સરસ વાત કરી કે “ ઈતિહાસમાંથી માણસે એટલું જ શીખવાનું છે કે ઈતિહાસમાંથી માણસ કાંઈ જ શીખ્યો નથી. ” આ ફક્ત હસાવવા પુરતી જ વાત નથી પરંતુ આપણા જીવનની નરી વાસ્તવિકતા છે. મોગલ સલ્તનત કે મરાઠાઓનું પતન અંદરોઅંદરના કુસંપને કારણે થયું. ભારતના રજવાડાંઓના આંતરિક કલહને કારણે જ તેનો લાભ ઉઠાવીને અંગ્રેજોએ આપણા દેશ પર 200 વર્ષ શાસન કર્યું. ઈતિહાસમાં નોંધાયેલી આ ઘટનાઓમાંથી જો આપણે કાંઈક શીખ્યા હોત તો જુદા જુદા રાજકીય પક્ષોના આગેવાનો એકબીજાના પગ ખેંચવાને બદલે સંપીને જનતાના કલ્યાણ માટે પ્રયત્ન કરતા હોત.
ધર્મની સાવ સીધી સરળ વ્યાખ્યા “બીજાને ઉપયોગી થવું,” એટલી વાત બધા સમજે તો હિંદુ મુસ્લીમોનાં કોમી તોફાનો ન થાય, બાબરી મસ્જીદ ભાંગવાના બનાવો ન બને. તપાસ પંચ પાછળ કરોડો રુપીઆ ખર્ચીને પણ કોઈ સુખદ ઉકેલ આવવાનો નથી. આવા અહેવાલોનો ફક્ત રાજકીય ઉપયોગ જ થાય છે. આવાં તપાસ પંચ નો શું અર્થ ?  ઈ સ. 2002માં ગોધરામાં એક ધર્મના 60 નિર્દોષ માનવીઓને જીવતાં સળગાવી દેવાયાં. તેના પ્રતિકાર રુપે બીજા ધર્મનાં 1000 નિર્દોષ માનવીઓને મારી નાખવામાં આવ્યાં. પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે એવું પુરવાર કરવા નિર્દોષ માનવીઓનાં બલિદાન જરુરી છે ? વાત આટલેથી અટકતી નથી. નિર્દોષ માનવીઓની હત્યા બાદ તેમના પરિવાર વિષે આપણે કોઈ વિચારીએ છીએ ? તેમની માનસિક યાતનાનું શું ? તેમના જીવન નિર્વાહનું શું ? આવું પાગલપન આપણે સૌ છોડી ન શકીએ ? ભારત – પાકીસ્તાનના ભાગલા વખતે થયેલી ભયાનક હિંસા, ઈતિહાસમાં નોંધાયેલી ઘટના, આનું વરવું ઉદાહરણ છે. હિંસા અને અહિંસા નો  સાચો અર્થ  આપણે ક્યારે સમજશું ?
ગીતાજીના 17મા અધ્યાયમાં 14મા શ્લોકમાં શ્રીકૃષ્ણ ભગવાને અહિંસાને શારીરિક તપ કહીને અહિંસાનો મહિમા ગાયો છે. એ તો ગીતાજી વાંચીએ તો જ સમજાય. જો આપણે સૌ અહિંસાનો સાચો અર્થ સમજીએ તો કેટલા બધા નિર્દોષ માનવીઓનાં ખૂન થતાં અટકે ? ગીતાજી ગહન છે, એમ કહીને આપણે તે ન વાંચીએ તો પણ મહાત્મા ગાંધીજીના જીવન સંદેશને અનુસરીને, અહિંસાને જીવનમાં ઉતારીએ તો, ધર્મને નામે રેડાતું લોહી અટકાવી શકીએ. બુધ્ધ, ઈસુ અને મહાવીર સ્વામીનો અવતાર ગણાતા મહાત્મા ગાંધીજીનું જીવન એ તો તાજો ઈતિહાસ છે. પરંતુ આપણે તેમાંથી કાંઈ શીખ્યા નથી. ખરી કરુણતા તો એ છે કે આપણે કાંઈ શીખવા માગતા જ નથી.
અનેક મહાત્માઓ આપણા જીવનને ઇજ્વળ બનાવવા  ધાર્મિક કથાઓ કરે છે. એ કથાઓ ઉત્તમ હોય છે પરંતુ આપણે એ કથાઓમાં, વિશાળ સમિયાણા, ભપકો, ઠાઠમાઠ,  એ બધાથી આકર્ષાઈને જઈએ છીએ. કીડીયારું ઉભરાય તેવી માનવમેદની હોય છે, પરંતુ જીવનને ઉજ્વળ બનાવે તેવી કોઈ વાત આપણને સ્પર્શતી નથી. કેટલાક કહેવાતા ધર્મગુરુઓ જનતાની આ ધર્મ ઘેલછાનો લાભ લઈ પુષ્કળ ધન ભેગું કરે છે, જમીનો  ખરીદે છે, વધુને વધુ આશ્રમો સ્થાપે છે. અભણ લોકોને આકર્ષવા, મંત્રેલું પાણી કે માદળીયાં આપી છેતરવાના વિવિધ પ્રયત્નો કરે છે. ક્યારેક અભણ સ્ત્રીઓને ભોળવીને તેમના શીલભંગ જેવી ગંદી અને અત્યંત હીન કક્ષાની પ્રવૃત્તિઓ આચરે છે. આવા કહેવાતા ધર્મગુરુઓને રાજકીય પીઠબળ હોવાથી, તેમ જ પુરાવાને અભાવે, તેમની સામે કાંઈ થતું નથી. આપણે સમાજને ક્યાં લઈ જવા માગીએ છીએ એજ સમજાતું નથી.
ગીતાજી પુરેપુરાં ન સમજાય તો વાંધો નહીં પરંતુ અંગત સ્વાર્થ તજવો, ક્રોધ તજવો, ઈચ્છાઓ તજવી જેવી, સામાન્ય વાતો સમજીએ તો પણ જીવન ઉજ્વળ બને, તેને માટે કોઈ કહેવાતા ધર્મગુરુ પાસે જવાની જરુર નથી. ખુદ પરમાત્માએ જીવનને ઉત્તમ બનાવવાની, સમાજ માટે અત્યંત ઉપકારક વાતો આપણને કહી છે. પણ ગીતાજી ગહન છે, એટલે આપણને તે ન સમજાય એવું સરસ બહાનું આપણે ગોતી કાઢ્યું છે. આપણે શાંતિ જોઈએ છે, જીવનમાં ક્યાંય શાંતિ નથી તેવી ફરિયાદ પણ કરીએ છીએ, પરંતુ અશાંતિ આપણે છોડવી નથી. પ્રયત્ન કર્યા વિના ધન મળે, પ્રયત્ન કર્યા વિના શાંતિ મળે તો સારું, એવી વાહિયાત વિચારસરણીને કારણે જ આપણને બીજા લોકો છેતરે છે, છેતરાયા પછી ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી.
એકવાર એક રાજાને ગુરુ ગોરખનાથ સાથે ધનનો મોહ, તેમ જ ભોગ વિલાસ છોડી જનતાનું કલ્યાણ કરવા બાબત ચર્ચા થઈ. રાજાએ કહ્યું: “આપની વાત સાચી છે, પરંતુ એ છોડવાનો કોઈ સરળ ઉપાય બતાવો.” જવાબમાં ગુરુ ગોરખનાથ મહેલના એક થાંભલાને વળગીને બૂમ પાડવા લાગ્યા. “આ થાંભલો મને વળગ્યો છે, મને છોડતો નથી.” રાજાને હસવું આવ્યું. કહે: “ગુરુજી થાંભલો આપને નથી વળગ્યો, આપ થાંભલાને વળગ્યા છો. આપ એને છોડી દ્યો.” ગુરુજીએ સમજાવ્યું: “રાજન્ ! તમે ધનના મોહ અને ભોગવિલાસને વળગ્યા છો. એને છોડવાની કોશિષ કરશો તો એ છૂટી જશે. જનતાનું કલ્યાણ કરવાની તમારી ફરજ છે, એ ફરજ સારી રીતે બજાવશો તો મનને શાંતિ પણ મળશે.” રાજાને વાત સમજાઈ ગઈ. ગીતાજીમાં બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે: “અશાંતસ્ય કુત: સુખમ્ ?” અશાંત માનવીને સુખ મળતું નથી.
આપણે આપણી જાતને સુધારવી પડે. રસ્તો કઠિન છે એટલે ક્યારેક આપણે ગબડી પડીએ, ફરીથી ઉઠવાનો પ્રયત્ન કરીએ. પરમાત્માની મદદ માગીએ. એ બહુ દયાળુ છે. તેમનો હાથ એ જરુર લંબાવશે. સૂરદાસજીની પ્રાર્થના ભૂલવા જેવી નથી.

“તેરી નગરીયાકી કઠિન ડગરીયા, ચલત ચલત ગિર જાઉઁ મૈં,
એક બાર પ્રભુ હાથ પકડ લો, એક બાર પ્રભુ હાથ પકડ લો………”

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
itinerary plus
Price 799 Rs.
 
itinerary plus
Price 599 Rs.
 
travel gujarati
Price 399 Rs.
 
 
 
market decides
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors